ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના- બનાસકાંઠા જિલ્લો

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બનાસકાંઠા જીલ્લો આપનું હાર્દિક સ્વાગત કરે છે.

Tuesday, December 16, 2014

ક્ષત્રીય એટલે શુ ?

-: રજપૂત ઠાકોર, ઠાકરડા સમાજ :- 
રજપૂત ઠાકોર, ઠાકરડા કોમો : 
મૂળ હીન્દી શબ્દ “ ठाकुर ” “ ઠાકુર” એટલે કે માલિક, ગામધણી, વિગેરેમાંથી “ઠાકોર” શબ્દ ઉદભવેલો છે.રાજ્યના ધણીને રાજા કહેવામાં આવતો.આપણે આગળ જોઇ ગયા તેમ ક્ષત્રિયોમાં સૌથી ઉંચુ રાજાઓનું પદ હતું. રાજાને પરમાત્માનું સ્વરૂપ માનવામાં આવતું હતું. રાજાઓને નરેશ, ભૂપતિ, મહીપ, મહીપતિ, રાજન્ય આદી નામોથી નવાજવામાં આવતા હતા. રાજાઓની પણ અનેક પદવીઓ હતી જેમ કે – રાજાણિરાજ, મહારાજ, મહારાજાધિરાજ, સમ્રાટ, ચક્રવર્તી સમ્રાટ કહેવામાં આવતા હતા.
રાજાઓથી નાના સરદારોને સામંત, જાગીરદાર, જમીનદાર, કિલ્લેદાર, તથા ઠાકુર (ઠાકોર) કહેવામાં આવતા હતા. રાજાઓના પુત્રોને રાજપુત્ર, રાજકુંવર, રાજકુમાર કહેવામાં આવતા હતા. રાજાના ઉતરાધિકારીને યુવરાજ કહેવાતો. કેટલીક ઐતિહાસિક માહિતી પ્રમાણે રાજાના પુરોને રાજપૂત્રો કે રાજપૂતો કહેવામાં આવતા, અને રાજપૂતોના ભાયોતોને કે તેમના કુવરોને ઠાકોર કહેવામાં આવતા હતા. જ્યારે આ ઠાકોરોના ભાયાતોને ઠાકરડા કહેવામાં આવતા. બીજી રીતે કહીયે તો જેનામાં સજ્જનતા, કુલિનતા કે મહાનતા હોય તેને “ઠાકોર” કહેવાય. ઠાકોર એ કોઇ કોમ કે જાતિની અટક નથી. ઠાકોર ક્ષત્રિયો માટે વપરાતો ઉપમાવાચક કે સંજ્ઞાવાચક શબ્દ છે. ઠાકોરોની રજપૂત શાખાઓ પણ છે. પરમાર, સોલંકી, રાઠોડ, ઝાલા, મકવાણા, ડાભી, વાઘેલા, જાદવ, ચૌહાણ, ગોહેલ, ચાવડા,ખાંટ, પગી વિગેરે આ તમામ તેમની મૂળ રજપૂત શાખ- અટકો છે. ઉત્તર પ્રદેશમાં પણ આવા ઠાકોર (ઠાકુર) ક્ષત્રિયો જ છે. જે લોકો પોતાને ઠાકોર તરીકે ઓળખાવે છે, તેમના પૂર્વજો કે વડવાઓ પાસે પૂર્વકાળમાં નાની નાની ઠકરાતો હતી. તેમજ કેટલાક ઠાકોર ઘામધણી પણ હતા. આમ આ ક્ષત્રિય મહાજાતિ રજપૂત મહાજાતિ છે. ઠાકોર અને ઠાકરડામાં રજપૂત અટકો સરખી જ છે.
ઠાકોર દરબારો, પાલવી દરબારો, પાલવી ઠાકોરો વિગેરે એ તમામ મૂળે રાપૂત દરબારોના જુદા જુદા દરજ્જા કે મોભા દર્શાવતા ફાંટા છે. આ બધામાંય પ્રસંગોપાત એકબીજામાં લગ્ન વ્યવહારો જોવા મળતા આવેલા છે. હાલમાં પણ આવા વ્યવહારો જોવા મળે છે. હવે જ્યારે આર્થિક અને શૈક્ષણિક રીતે આ ક્ષત્રિયો થોડે ઘણે અંશે સદ્ધર થયા હોવાથી પોતાના દરજ્જા કે મોભાને બાબત ગૌણ બનવા લાગી છે. ઠાકોર અને ઠાકરડા તરીકે ઓળખાતા આ વર્ગો પણ મૂળે તો રાજપૂત વર્ગના ફાંટા છે. “ઠાકરડા” એ “ ઠાકોર” શબ્દનો અપભ્રંશ શબ્દ છે. તેમજ જે ગામનો ગામધણી ન હોય તે ગામના ઠાકોર દરબારો તળપદી ભાષા કે લોકભાષામાં ‘ ઠાકરડા ’ તરીકે ઓળખાતા હતા. ગામધણીઓ અને તે સિવાયના ઠાકોરવર્ગ વચ્ચે આ રીતે પાતળી ભેદરેખા વર્તાતી હતી. પોતાનો દરજ્જો ઉંચો જળવાઈ રહે તે માટે તેઓ પણ દરબારો સિવાયના ઠાકોરોને ઠાકરડા તરીકે ઓળખાવતા હતા. જેમ બામણ અને બ્રાહમણ વચ્ચે તેમજ વણિક અને વાણિયામાં કોઇ તફાવત નથી તેમ ઠાકોર અને ઠાકરડા વચ્ચે ભાષા સંબોધનનો ભેદ છે. ઠાકોર શબ્દ એ ક્ષત્રિયો માટે આદરભાવની પદવી છે.
અગાઉ જોઇ ગયા તેમ પરદેશી આક્રમણકારીઓ, મોગલ, મુસ્લિમ સલ્તનતકાળ, મરાઠા સલ્તનત, બ્રીટીશ સલ્તનતની શોષણકારી અને દમનકારી નીતિઓને લીધે આ સમગ્ર સમાજ આર્થિક અને સામાજિક રીતે પછાત રહી જવા પામેલ છે. આ દમનકારી શાસકોના સમયમાં સરકારી દસ્તાવેજો, ખેતીવાડાની નકલો , શાળના નાંધણી પત્રકો, અંગ્રેજો અને ગાયકવાડ સરકારે બનાવેલા રાજપત્રો વિગેરે જગ્યાએ તેમજ સરકારી પછાત વર્ગોની યાદીઓમાં પણ ઠાકરડા શબ્દ વપરાતો રહ્યો છે. હવે કોઇક વિસ્તારમાં લોકબોલીમાં આ શબ્દનો કઇક અંશે વપરાશ છે. પરંતુ હવે કોઇ ભેદરેખા જણાતી નથી. હવે આ સમાજ રાજકીય રીતે કેટલેક અંશે સફળ થયો હોવાથી ઠાકરડા અને ઠાકોર વચ્ચે ભેદભાવ ઓછો થતો જોવા મળે છે. મોટે ભાગે ઠાકોર સમાજના કોઇપણ વ્યકતિના નામની પાછળ “ જી ” કે સિંહ શબ્દ પ્રયોજાય છે. અને નામની પાછળ જી કે સિંહ શબ્દ લગાવવાનો રીવાજ રાજપૂત રાજાઓના સમયથી જોવા મળે છે. આવી પ્રથાઓ સમયકાળ મુજબ બદલાતી રહે છે.
આ હવે આ ક્ષત્રિય મહાજાતિની કેટલીક જાતિઓ પોતાની શાખ અને જાતિ એમ બન્નેમાં ઠાકોર અટક લખાવવા લાગ્યા છે. કેટલાક ઠાકોર હજુ પણ પોતાની રજપૂત શાખ પણ લખાવે છે. કેટલાક બ્રાહ્મણો પણ ઠાકોર અટક લખાવે છે. આ ઉપરાંત ભીલ નાયકો પણ ઠાકોર શબ્દ લખાવે છે. મધ્ય ગુજરાતના બૃહદ ખેડા જીલ્લાના ભાલેજ વિસ્તારના કેટલાક મુસલમાનો પણ ઠાકોર અટક લખાવે છે. પણ તેઓ હિન્દુ ધર્મમાં માનતા નથી. તેમનો ઇતિહાસ પણ મોલેસલામ ગરાસિયા જેવો છે. બ્રીટીશ સલ્તનત વખતે કેટલાક જુદા જુદા દેશી રજવાડાઓને અંગ્રેજોએ રાજ્યોના દરજ્જા પ્રમાણે સલામી આપવા માટે ઠાકોર સાહેબ કે ઠાકોરશ્રી એવા નામો આપેલા હતા. હવે સૌ પોતાને ઠાકોર તરીકે ઓળખાવે છે. રજપૂત કે ક્ષત્રિય ઠાકોરો મોટેભાગે ગુજરાતના તમામ વિસ્તારોમાં જુથ પ્રમાણે વસવાટ કરે છે. ઉત્તર ગુજરાત બાજુ વસતા આ ક્ષત્રિયો પોતાને મોટેભાગે ઠાકોર તરીકે જ હવે ઓળખાવે છે. તેમનામાં મોટા ભાગના પરમાર, સોલંકી, ઝાલા, મકવાણા, ચૌહાણ, વાઘેલા, ડાભી, વિગેરે રજપૂત અટકો કે શાખો ધરાવતા જોવા મળે છે. જ્યારે મધ્ય ગુજરાતના આ ક્ષત્રિયો ઝાલા, પરમાર, ડાભી, સોલંકી, ગોહેલ, ચાવડા, વાઘેલા, જાદવ, ખાંટ, પગી જેવી શાખ લખાવે છે. સ્થાનિક બોલીમાં કેટલાકને દરબાર, બારૈયા કે બારીયા, ઠાકોર કે પાટણવાડીયા તરીકે બોલાવાય છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ તમામ મૂળે તો રજપૂત ક્ષત્રિય છે. આ બાબતે વિગત વાર આપણે આગળ જોઇશું. સૌરાષ્ટ્ર વિસ્તારના કેટલાક જીલ્લાના કોળીઓ પણ હવે ઠાકોર અટક લખતા જોવા મળે છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં આ ક્ષત્રિયો પોતાના બાપદાદાના કે ગામના નામ ઉપરથી પણ અટકો લખાવે છે. દા.ત. રભાતર,વિકાણી જે જેઓ મૂળ બનાસકાંઠાના ખીમાણાના પરમારો છે. જ્યારે ભટેશરીયા(ડાભી), ઝુજરવાડીયા, વિગેરે. રાજપૂતોમાં પણ કેટલાક ગામ કે બાપ અટક લખાવે છે. વડોદીયા,વગાસીયા, વાસદીયા વિગેરે. બનાસકાંઠાના ધાનેરા બાજુના કેટલાક પૂર્વે કોળી હતા જે હવે પોતાને ઠાકોર તરીકે ઓળખાવે છે. મહેસાણા જીલ્લાના વડનગર પંથકના મોતાભાગના દરબારો મૂળ ઠાકોર છે. પરંતુ પોતાને અસલી દરબાર તરીકે કહેવડાવે છે. કેટલાકને હવે ઠાકોર કહેવડાવવામાં ક્ષોભ અનુભવે છે. ઈ.સ. ૧૮૫૭ ના વિપ્લવ ના બળવા સમયે આ દરબારોને અંગ્રેજો અને ગાયક્વાડ સરકારે ઇતિહાસમાં કોળી ઠાકોર કે કોળી દરબાર તરીકે વર્ણવ્યા છે. પરંતુ ખરી હકીકત તો એ છે કે આ તમામ દરબારો કે ઠાકોરો પૂર્વકાળમાં રાજપૂત હતા. પરંતુ કેટલીક નીતિ રીતિઓ અને પોતાના ભાયાતોના દ્વેશ અને વર્ગ વિગ્રહને કારણે તથા અંગ્રેજો અને ગાયકવાડ સલ્તનતની દમનકારી નીતિઓ, વિસ્તાર વ્યવસ્થાપન અને વિસ્તાર વહેચણી ને કારણે કેટલાકને પદ્દ્ચ્યુત કરવામાં આવેલા છે. વડનગર અને વિજાપુર વિસ્તારના ચૌહાણો કે જે વડનગર આસપાસ પોતાને ઠાકોર તરીકે ઓળખાવે છે જ્યારે પોતાના અન્ય ભાયાતો કે જે વિજાપુર વિસ્તારમાં વસવાટ કરે છે જે પોતાને રાજપૂત તરીકે ઓળખાવે છે. સત્ય એ છે કે આ બન્ને વિસ્તારના ચૌહાણો રાજપૂતો જ પરંતુ ભાગવાથી કે ભગાડવાથી કે પદ્દ્ચ્યુત થવાથી આવી ભેદ રેખા ઉપસ્થિત થવા લાગી હોય તેમ જણાય છે. બનસાકાંઠા કેટલાક પરમારો પોતાને રાજપૂત તરીકે ઓળખાવે છે જ્યારે પોતાના ભાઈઓ કે જે આશરે ૨૦૦ વર્ષ પહેલાં સળાંતરીત થઈ અન્ય જગ્યાએ વસવાટ કર્યો તેઓ હાલમાં ઠાકોર તરીકે ઓળખાય છે. વાસ્તવમાં આ બધા પરમારો ૨૦૦ વર્ષ પહેલાં એક જ કુંટુબી ભાયાતો છે. એ જ રીતે વિસનગર અને મહેસાણા વિસ્તારના કેટલાક ઝાલા –મકવાણા કે જેમના પૂર્વજો વર્ષો પહેલાં પાટડીથી સ્ળાંતરીત થઈને આવીને વસેલા છે. તેઓ અને હાલમાં પાટડી વિસ્તારના ઝાલાઓના પૂર્વજો એક જ છે. પરંતુ આ તમામ એક બીજાને અલગ અલગ માને છે. કેટલાક ઇતિહાસકારો(શંકુચિત મનોદશવાળા અને દ્વેશભાવવાળા) કટોસણ સ્ટેટને કોળી મકવાણા લેખાવે છે. તેઓને ઝાલાવાડના રાજપૂતો સાથે ભાયાતોનો સબંધ હોવા છતાં ઇતિહાસકારો મહીકાંઠા ના દેશી રાજ્યોના રાજપોતોને અસલી રાજપૂત માનતા નથી. વાસ્તવમાં કટોસણ ને તેની આસપાસના તમામ મકવાણા-ઝાલા ઝાલાવાડના રાજપૂતો સાથે સીધો સબન્ધ ધરાવે છે. એવા ઐતિહાસિક પૂરાવા છે. પણ અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરોની નીતિને કારણે તેમજ ગુલામી માનસ ધરાવતા ઇતિહાસકારો એ પોતાની કલમને સાચી બતાવવા પ્રયાસ કર્યો હોય તેમ જણાઈ આવે છે. ઈડર તાલુકાના ચાંડપ વિસ્તારના ચૌહાણો મૂળે રજપૂત છે પરંતુ ૧૮૫૭ના વિપ્લવમાં અંગ્રેજો અને ગાયકવાડ સરકાર સામે તેમજ ઈડરના રાજા સામે મંડેઠીના ઠાકોર સૂરજમલ સાથે મળીને બંડ પોકારેલ. આના કારણે ચાંડપના આ ક્ષત્રિય ચૌહાણોને કોળી તરીકે ઇતિહાસમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે. ચાંડપના નાથાજી અને તેમના તેમના ૨૦૦૦ સાથીઓએ ૧૮૫૭ના વિપ્લવમાં અંગ્રેજો, ગાયકવાડ અને ઈડરની સરકારનો સામનો કરેલો. આ વિશે આપણે વિગતવાર હવે પછી જોઇશુ.

1 comment:

  1. આ બ્લોગ બનાવનાર ને જય માતાજી.

    જત જણાવવાનું કે આ બ્લોગમાં જે જે માહિતી આપશ્રીએ મૂકી છે, એ મોટાભાગની ભવાનીસિંહ ઠાકુર માં બ્લોગ ઉપરથી કોપી કરીને મૂકી છે. આથી આપને જણાવાનું કે મારા બ્લોગ ઉપરથી જે જે લેખ કોપી કરી છે એના સંદર્ભમાં મારા બ્લોગ ની એડ્રેસ યા તો લેખ તરીકે bhavansinh નું નામ લખવું. અન્યથા કોપી રાઈટ નો ભાગ થશે

    ReplyDelete